કેસરભીની હથ્થેળીમાં—સંજુ વાળા
કેસરભીની હથ્થેળીમાં બોળી રે તર્જની !
અંગ ધ્રાસકો મ્હોર્યો ટપ્પક દડી પડી એક કણી
આંગળી નીચોવીએ તો રેલાતા ટાચકા
પણ કોઈ રીતે તૂટતું ના કળતર
અડીયલ ઉજાગરાનો જાંબુડીઓ ગઢ
વાય વ્હાણું ‘ને ખરી પડે ખર.. ખર…
ભીંત ભૂલીને દીવા બદલે પેટાવ્યો રે મણિ
… અંગ ધ્રાસકો મ્હોર્યો ટપ્પક દડી પડી એક કણી
આછેરી ઓળખેલી અણીયાળી ફૂંક
આજ વીંઝાતી કાચેરી વયમાં
સાંભરે ચટ્ટાક લાલ નીતરતા ડંખ
પછી રેબઝેબ ભીંસાવું ભયમાં
કોઈ સપરમી પીડાની ભોંકાતી તિર્યક અણી
અંગ્ ધ્રાસકો મ્હોર્યો ટપ્પક દડી પડી એક કણી
કેસરભીની હથ્થેળીમાં બોળી રે તર્જની !
અંગ ધ્રાસકો મ્હોર્યો ટપ્પક દડી પડી એક કણી
તમારા હાથમાં કોઇ કવિતાનું પુસ્તક આપે અને શબ્દો સ્ફોટમાં પોતાને મૂર્ત કરે તેજ રીતે લાગણીથી સીવાયેલો માણસ પણ અભિવ્યક્તિમાં ઉઘડી પડી પોતાને વ્યક્ત કરે છે હ્રદયના તળગોળાકારમાંથી.
કોઇપણ સર્જકનું ભાષા કર્મ એની ઉંડી લયકારી અને ઉચ્ચારણની અનપેક્ષિતતા કે નવ્યતાથી કળાત્મક સૌન્દર્યાનુભૂતિની અભિવ્યક્તિના તત્વજ્ઞાનનું પ્રતિનિધિત્વ પણ કરે છે.મૃત્યુ હોય કે સાહચર્ય,ડેવિડ શેપીરો-અમેરિકન કવિ-એની મા માટે કહે છે તેમ
Eros touches her lightly
with the palm of his left hand…
અનુભૂતિ અને તેની અભિવ્યક્તિની વિદગ્ધતા કે ઘનિષ્ઠતા કોઇ પણ કૃતિનું કેન્દ્રવર્તિ ગુરુત્વાકર્ષણ છે.
દરેક કવિ એની સંસકૃતિને અગળ લઈ જતો કણ(એટમ)છે,જે સતત ફ્યુઝન થયા કરે છે અર્થાત કવિ પહેલાં વ્યક્તિ(individual) છે અને પછી સિંહાવલોકનમાં ઉમેરાય.ગુજરાતી કે હિન્દુસ્તાની સાહિત્યમાં હજું school જેવી પરંપરા કે નિશ્ચિત વળાંક જોવા નથી મળ્યા કારણ આપણે અનુકરણ કે સાર સાગ્રાહક(eclectic)વિચારસરણીઓમાંથી ઉદભવ્યા છીએ.એની સામે છે આપણી પારંપારિક કાવ્યરીતિમાં ગીતો(લિરિક) અને અન્ય ભક્તિ પરંપરાના પ્રકારો જ.ગઝલ પણ બહારથી આવી આત્મસાત થયેલું સ્વરૂપ છે,નરસિંહ-મીરાં,દયારામ કે અખાએ ક્યારેય ગઝલ લખી નથી.પણ પ્રેમનો અભિનિવેશ સનાતન સંવેદના છે,પછી એ ઉઘાડો હોય કે ઢાંકેલો કે રાજકોટના દિયર-ભાભી જેમ મંદિરની ભીંતે વળગેલો હોય,પ્રેમ અવ્યય છે.આ જે અવ્યય છે તે જ માણસ અને વસ્તુ કે સંવેદનાત્મક લાગણી વચ્ચેનાં જોડાણ વ્યક્ત કરે છે.
સંજુવાળાના કાવ્યત્વને ગૂઢતત્વથી આ્ચ્છાદિત ગણાવાઈ હશે પણ બીજી તરફ એમાં કાંત જેવી સેન્દ્રિયતા પણ છે,જ્યાં ભાષા અભિવ્યક્ત્ને અપનાવે(borrow) છે દૃષ્ય-શ્રાવ્યતામાંથી.આપણી સંસ્કૃત પરંપરામાં વલણના કાવ્યમાં આ જોવા મળે છે,એના એક કાવ્યમાં એ કહે છે,”ઉઘાડા નહીં પણ ભીના પાલવ પાછળ્ના સ્તન વધારે વાંછીત છે.”એલિયટ”એકાગ્રતા” પર, પાઉન્ડ”ઇમેજ” પર અને કાર્લોસ વિલિયમ(અમેરિકન કવિ) કહે છે,”જેટલું લાંબુ હુંમારી સ્થાનિકતામાં જીવું, જીવવાની વિગતપ્રચૂરતામાં જીવું,ત્યારે મને ભાન થાય છે કે આ જૂદા પાડેલા અનુભવ અને નિરિક્ષણો,ઊંડાણ તાગવા, ભેગાં કરવા આવશ્યક છે.”સંજુવાળાનું આ કાવ્ય એવા સાહચર્યની કુમાશને વલુરતી અભિવ્યક્તિ છે.
એક સ્ત્રી અને પુરુષ મળે અને હાથ મેળવે ત્યારે હથેળી વચ્ચે આંગળી ઘસી આપતો પુરુષ સંબંધોની ઇપ્સાથી તરબતર છે,પણ આ કાવ્યમાં હથેળી કેસરભીની છેઃરંગ અને માધુર્ય સાહચર્યની સંલગ્નતા(nexus)સત્કારવા ઉપસ્થિત છે, જે એક સમે ભય અને પ્રસંશા બન્ને છે-અંગ ધ્રાસ્કો મ્હોર્યો..આ ભય સ્પર્શથી જન્મેલા સ્પંદનોથી મ્હોરેલો કુણો,તાજો,લીલોકચ છે.સમર્પણથી-અડતા અડતામાંતો તડ્ડાક દઈ તૂટતો,સહચર્યની એક લાગણી, અનુભૂતિંમાં દડી ગબડેલો છે.કાવ્યની પહેલી પંક્તિમાં પ્રણયની પરિપૂર્ણતા જેમાં છે તે સમાગમનો અંગૂલિનિર્દેશ અને આકૃતિ-અડીયલ ઉજાગરો- તથા પ્રથમ સમાગમના erosના પહેલા હળવા સ્પર્શનું સંકોચન, કળતર-ધ્રાસ્કો છે.જોડ્યા’થ’નો ઉપયોગ શારિરીક પ્રતિક્રિયા તથા આઠ ‘ઇ’.બે ‘આ’અને બે ‘ઓ’ના ઉચ્ચાર પછી ‘ટપ્પક’માંના ત્રણ ‘અ’ની હળવાશ અનુભૂતિની ટપકી, તૂટી(ખરી) પડેલી પરિપૂર્ણતા છે.’કાંત’માં વિવશતા છે,અંગ સાથે અંગ જોડી દેવાની માંગણી છે,અહીં તો રત અંગોની કમનીયતા છે.
કાવ્યના બીજા ભાગમાં રમણક્રિયાની લાક્ષણિક રજૂઆત છે.આવી ભાષાનું કામ પ્રતિક અથવા શિલ્પમાંથી ઉદભવતી અન્ય ભાષાકે સ્વર(voice) સાથે સંવાદ રચવાનું છે.ફ્રેન્ચ ફિનોમીનોલોજીસ્ટ કહે છે તેમ”જેવા તમે આકૃતિ(શિલ્પ)ના પ્રેમમાં પડો કે તરત એનું સ્વરૂપ બદલઈ જાય”(એ હકિકતથી દૂર હટી જાય).ભાષા જ્યારે સ્ફોટ સાથે સંવાદ રચે કે તાદાત્મ્ય સાધે ત્યારે એ ઇતર સ્વરને નવ્ય સંદર્ભ અને સ્વક આપે છે.જેમ માનવ ચૈતન્યમાં જટિલતા પ્રતિબિંબિત થયા કરે જે નથી વિખુટુ કે મર્યાદિત સ્વયં પુરતું.નીચોવવું શબ્દમાં અમળાવું અને લવચિકતા બન્ને એક સાથે છે.રતિક્રિડાનો સમય,ઉમંગ અને એમાં સધાયેલો સંવાદ તથા એનો અંત બીજા અંતરાનો મૂળ ધ્વનિ છે.
એમાં ‘ર’અને’ળ’નો વપરાશ રસિકતાને વહેતા રાખે છે,જેમ વાક્ય રચનામાં ગૂંથાયેલોઅ લય.આખો અંતરો માનવ જાગૃતતા અને ક્રિડન વચ્ચેની dialogic પરિસ્થિતિ છે જે સતત અમળાયા કરે back and forth જે બે જણ વચ્ચે માન્યતા(કદર.) અને પ્રતિક્રિયા માટે વ્યાપ દર્શાવે કે સૂચિત કરે છે.અમેરિકન કવયિત્રિ મી.મી. બરસેનબર્ગ એમના ‘હેલો,ધ રોઝિસ’માં કહે છેઃ
there is a feeling of touching and touched,
the shading of colors she can sense from touch
there’s an affinity between awareness and blossom.
બન્ને જગ્યાએ જાંબુડિયો રંગ પોતાની objectivity ગુમાવે છે અને અનુભૂતિ કે સંવેદના વિસ્તરણમાં પ્રવેશ કરાવે છે અને વાંચનારના ચૈતન્યને પણ ઉકેલે છે,તથા બન્ને તન spaceમાં વધારે જોયેલામાં કે જોવામાં વિસ્તરે છેઃજે દૃષ્ટિ અને ગતિનું વણાટકામ છે.
ત્યારે ભીંત ભૂલી દિવાને સ્થાને મણી પ્રગટે છે.આ મણીમાં સાપનો ઉલ્લેખ છે અને સાપ ડી,એચ.લોરેન્સથી ફ્રોઈડ સુધી આપણી સુસુપ્ત વૃત્તિ(સમાગમમાં રહેલી)નું પ્રતિનિધિત્વ કરે છે.
બીજા અંતરામાં ડંખાયેલી અક્ષતતા અને એ લાગણી પ્રત્યેની સભાનતા જેમાંથી જન્મેલો ભય બે’ટ’ના જોડાણ અને ઉચ્ચારથી છતો થાય છે.કાવ્યનો ધ્વનિ અહીં અંત સુધી સર્જનાત્મક અભિગમને દાખવે છે,કારણ અનુભવવાની(કાવ્ય)શક્તિ counter powerમાં કે એની શક્યતામાં ફેલાયેલી છે.છેલ્લા અંતરામાં ૧૯ વખત વપરાયેલો’ઇ’ સ્ત્રૈણ અનુભૂતિની તીક્ષ્ણતા અને બારીકી બન્ને એક સાથે રજૂ કરે છે,અભિવ્યક્ત કરે છે.
સાહચર્યની કુમાશને વલુરતી અભિવ્યક્તિનું નવું નામ તે કેસરભીની હથેળીમાં બોળેલી આંગળી eros…eros…eros…
[૧/૨૩થી૨/૧૮/૨૦૧૨]