વાલ્ઝીના મોર્ટ- જ્ન્મ,૧૯૮૧

November 9, 2011

બે કાવ્ય,
૧)    પ્રસ્તાવના
ઉઘાડા વૃક્ષ પર-
એક લાલ પશુ,
એટલું નિઃસ્તબ્ધ, એ વૃક્ષ થઈ ગયું
હવે વૃક્ષ પશુ આંતરે
સાવધ પશુ.

એની છાતીમા પથ્થર ઝીંક્યો

એટલા જોરથી- પથ્થર પશુ થઈ ગયો.
હવે પશુ પોતાને ઝીંકે પથ્થર સમ,
લોહી કુતરા જેવું-ગુલાબી વૃક્ષ વંટોળીયામાં,
અને ચંદ્ર થકવી નાખે તમારે ચહેરે
કાગવાસનું ઢોંગી વાર્ષિક મોહરું

મૃત્યુ વધું સાંભળવા રાહ જુએ.
તેથી મૃત્યુ ઉવાચઃ
પહેલાં-તારી કથા,પછી-હું.
( કલેક્ટેડ બાડી,કાવ્ય સંગ્રહ-૨૦૧૧ માંથી)

૨)   લગ્ન
આ રીત નથી તમારી તૂટેલો ગ્લાસ ચોંટાડવાની

એ ટીપે ટીપે ભેગો કરે
દરિયો સમસ્ત વિશ્વ ફરતે છંટાયેલો

તમે પથારીની ધારે ટૂંટિયું વાળ્યું છે
એકદમ અચાનક
એકાએક ધારણા બહાર
કબાટ નીચે ગબડી ગયેલા રમકડા સમ

અને તમારા શ્રીમતી કોલંબસ અહીં છે
માંસ જેવી લાલ આંખો
ઝીણી કરેલી પણ નિહાળતી નથી
એની હોડીના નાકથી આઘે

કોણ નીકળી પડશે તમને ખોળી કાઢવા
જ્યારે બધા નકશા ખરીદાયેલા અને જડાયેલા હોય
કોણ માનશે
કે સમુદ્ર ગાબડું છે
કે સ્વક પર ઓઢાડેલી ચાદર
તારી-મારી સાથે ભૂત-પલિત રમવા.
( ફક્ટરી ઓફ ટીઅર્સ,૨૦૧૦ પ્રથમ કાવ્ય સંગ્રહ)
[અનુ.૧૧/૪ અને ૧૧/૫/૨૦૧૧ અનુક્રમે]

{અબ્દુ અલી ઇટનની વાલ્ઝીના મોર્ટ સાથે ગોઠડી ઃ અનુવાદ.}

બેલરુસથી આવેલી આ ૧૯૮૧માં જન્મેલી કવયિત્રિ હાલ બાલ્ટીમોર યુનિ.માં વ્યાખ્યાતા છે.૨૦૦૫માં પહેલો કાવ્ય સંગ્રહ’ફેક્ટરી ઓફ ટીઅર્સ’આપ્યા પછી૨૦૧૧માં નં.૨’કલેક્ટેડ બાડી’
કેન્યન પ્રેસમાંથી આવ્યો છે.ઇન્ટરનેટ પર થયેલી આ મુલાકતનો અનુવાદ છે.

અબ્દુઃ  બાલ્ટીમોરના આગમને કવિતામાં શું ઉમેર્યું ?
વાલઃ એ તો બાલ્ટીમોર છોડીશ પછી સમજાશે.
અબ્દુઃ ‘કલેક્ટેડ બાડી’ પાછળ કારણભૂત શું ?
વાલઃ  પ્રેરણાને કોઇ સ્ફૂરણ નથી,જો આ વાતને અર્થ હોય.પ્રેરણા સ્વયંભૂ છે આવે ને જાય યદ્રેચ્છાએ,અને આંગળી મૂકી કહી શકાય નહીં કે આ કે પેલા સમયે શું આવ્યું હતું. આ કાવ્ય સંગ્રહની શરુઆત ૨૦૦૯ના ઉનાળામાં થઈ હતી.જ્યારે હું ઉત્તરના દરિયાના નાનકડા ટાપુ પર રહેતી હતી, પછી બે વર્ષ પ્રત પર કામ કર્યું,સંપાદન, છેકાછેક, ફેરવિચાર વગેરે. સંગ્રહ નિશ્ચિત પણે મેટામોર્ફોસિસ ( રુપાંતર/પરિવર્તન)ના તાંતણે સંધાયેલો છે ( જુઓ એના આવરણમાં લીડા(સ્ત્રી)અને હંસ.)અને સ્ત્રૈણ વિષયાસક્તિ(સેન્સુએલિટી) અને ચિત્રપ્રદેશ-જે બે વિવિધ દેખાવો વચ્ચે નિર્વાસિત છે-જે ઉત્તરના દરિયાથી કેરેબિયન સમુદ્ર સુધી વિસ્તરેલી કવિતામાં વણાયેલો છે;અને બેલરુસનો પૃથક સમતલ(ફીકો!) વિસ્તાર.
અબ્દુઃ  સર્જક તરીકે ગૂઢસત્ય અને નિષેધ,જેવાં કે જાતિય સંબંધ અને હિંસા,તપાસ્યા છે ખરાં.તમાને જીવાતી લાંછિત હકિકતોને જાહેર કરવાની ઇચ્છા થાય ખરી?
વાલઃ  હું સંબંધ અને હિંસાને નિષેધ તરીકે નથી જોતી,ખાસ કરી, ફિલ્મી સંસ્કૃતિ, જે એનું દૈનિક ઉત્પાદન છે.મને લાગે છે કે એના વિષે ચર્ચા કરવી ઢોંગ હશે જ્યારે અમેરિકામાં એ બન્ને સાક્ષાત છે, હકિકતમાં એ બે જ કેવળ પદાર્થ છે જે વેચાય છે.મને નથી લાગતું સર્જક તરીકે હું એકેય તરફ વધારે ધ્યાન આપું,જો કે આ બીજો સંગ્રહ પહેલા કરતા વધારે વિષયાસક્ત છે.પણ વ્યક્તિગતપણે મને કળામાં વધારે રસ છે-અને ફિલ્મો કદાચ એમાં વધારે સરળ છે.-જે દેખાડે છે આપણી સંપૂર્ણ વિકૃતિ કેવી રીતે કહેવાતી નિયમિતતા છે.કોઇ નમૂનેદાર નથી.આપણે બધાં રૂઢીમુક્ત છીએ.એ જ આપણા વિશે રસનો વિષય છે.હું તમારું ધ્યાન ઑસ્ટ્રિયન ફિલ્મ ડિરેક્ટર માઇકલ હેનેકે(heneke) તરફ દોરું છું.ત્યાં ‘લાંછિત હકિકતો’તાગવાની વાત નથી પણ પ્રેક્ષકને પ્રોવવાની,ઉઘાડવાની નહીં,જેમે જેમે તમારું કર્મ ઉકલતું જાય તેમાં.
અબ્દુઃ  કદાચ તમારે માટે આ ગૂઢ સ્થળો(સ્તરો!)એ જવું અઘરું હશે કવિતા માટે ?
વાલઃ  ના , એવું નથી. મને આનંદ છે કે હું એ કરી શકું છું,અને બીજી કોઈ રીતે જીવવું-તેની કલ્પના કરી શકાતી નથી.
અબ્દુઃ  કવિતા, લય,આકાર અને સંવેદના સાથેના નૃત્ય જેવું છે. તમારી કવિતા કોઇ નૃત્ય સ્વરુપ હોય તો તે કયું ?
વાલઃ  હું કવિતાને નૃત્ય સાથે સરખાવીશ નહીં, મારે મતે,એ ખૂબ ઉત્કૃષ્ટ કળા સ્વરુપ છે.આપણે લય, આકાર અને સંવેદા વિશે દરેક કળામાં વિચારી શકીએ,પછી એ સંગીત હોય કે ચક્ષુગમ્ય (ચિત્રાદી) કળા હોય.પણ ઇતર કળા સ્વરુપો સમ, અને નૃત્ય અગ્રસ્થાને,કવિતા માનવજાતિનું મહત્વનું કામ કરે છે.ભાષાની શુધ્ધતા જાળવવાનું,રૂઢ વાક્ય પ્રયોગો અને અન્ય
અભિવ્યક્તિઓ જેમાં કોઇ સૌંન્દર્યગત કર્મ નથી,પણ કેવળ ઉપયોગીતાવાદ જ છે,તેનાથી મુક્ત કરાવવાનું.
અબ્દુઃ  તમે તમારાં કાવ્યોને ઉર્મિગીત તરીકે જુઓ છો ? આ સંગ્રહ વાંચનાર માટે કયો આલાપ ગાય છે ?
વાલઃ  કાવ્યના મૂળ ગીતમાં છે,એ દ્રષ્ટિએ દરેક કવિતા ગીત છે,એક પ્રાર્થના.યદ્યપિ,નૃત્ય સમ કાવ્ય સંગીત(લય)ગાયનની તરજ સમ દેખાડી કે સંભળાવી ન શકાય.હું જ્યારે આ સંગ્રહના સર્જનમાં રત હતી ત્યારે ફ્રાન્ઝ લિઝ્ટ,શોપીન અને બ્રાહ્મ્સને ખૂબ સાંભળતી’તી, પણ કવિ જ્યારે લખતો હોય ત્યારે આપણે જૂદા પ્રકારના લયની વાત કરીએ છીએ.કદાચ સારો શબ્દ આનંદ હશે,જેમ આપણી સાચી આનંદની ક્ષણોમાં દરેક વસ્તુ આપણામાં લહેરાતી હોય.આપણે એને ક્યારેક સંગીત,ક્યારેક કવિતા, ક્યારેક આનંદ કહીએ, કારણકે વાસ્તવમાં એને કોઇ નિશ્ચિત નામ નથી–એ એવી લાગણી છે( વસ્તુ છે.) જે સંજ્ઞા સ્વીકારવા તૈયાર નથી.આપણે અનુભવીએ ત્યારે જ જાણી શકીએ છીએ.અને એને કોઈ નામ નથી તે કારણે આપણે એકજ રીતે તેનું અનુભાવન કરી શકીએઃકળા દ્વારા.
અબ્દુઃ  તમે મુસાફર છો.કયા સ્થળો તમને પ્રેરણા આપે છે ?
વાલઃ હું સરળ જીવવું પસંદ કરું છું,પૈસા બનાવી જુદા સ્થળોએ જતી હોઊં છું.કોઇપણ સ્થળે મહિનો તો હું રહી જ પડું, જે મોટે ભાગે ઉનાળામાં જ સંભવે છે.કળા ગૃહો એ માટે ઉત્તમ છે.આ સંગ્રહ બે રહેઠાણો વચ્ચે લખાયો છે-જર્મન ટાપુ ઝ્યીલ્ટ અને ઓસ્ટ્રિયા.પછી હું ટ્રિનિદાદના એલિ યાર્ડમાં રહી અને છેવટે મોરોકોના ઉનાળામાં આખરી ફેરવિચારણા થઈ એના વિશે જ્યાં લેનન ફાઉન્ડેશનની સહાયથી હતી.હાલ હું ઓસ્ટ્રિયામાંથી તમને જવાબો લખી રહી છું, જ્યાં ફરીથી રહેવા આવી છું.ડેન્યુબના ક્રેમ્સ ટાપુ પરના લિટરેચરહાઉસમાં.મને વિશાળ પ્રદેશો જેવાંકે સમુદ્ર,રણ વગેરે ગમે છે.હું નાના અને સંપૂર્ણ પણે દરિયાથી વંચિત દેશમાં ઉછરી છું. હકિકમાં, હું જ્યારે બાળક હતી,દરિયો ભગવાન જેવો હતો-કેવળ એના વિશે વાંચ્યું હતું, પણ આંખોથી નિહાળ્યો ન હતો.તેથી હાલમાં હુ,મને લાગે છે કે, વિવિધ સમુદ્રોતટોની ભરપાઈ કરું છું.
અબ્દુઃ  બાલ્ટીમોર શરુઆત કરતા કવિઓ( નવા નિશાળીયાઓ) માટે યોગ્ય છે ?તમે કયા સ્થળો સૂચવશો ?
વાલઃ હું કદાચ આ”શરુઆત કરતા કવિઓ( નવા નિશાળીયાઓ)”દ્ર્ષ્ટિકૉણ સાથે સહમત નથી, કેવળ એક જ સ્થળ કવિઓ માટે સારું છે, તે પુસ્તકાલયો.બાકી બધું વિકલ્પ છે,પણ એ ય મહત્વનું છે બીજાં, અન્ય કરતાં વધારે,માટે કે પ્રસ્થાપિત કવિઓને વાંચે, સાંભળે અને ગોઠડી કરે મનગમતાઓ સાથે.શહેરોમાં કાવ્યવાંચનના સારાં કાર્યક્રમો થતાં હોય છે.જો તમે સ્થાનિક મેગેઝીનોમાં છપાવો તો એના વિતરણ સમારંભો તમને વાંચવા આમંત્રણ પણ આપશે.અમારા MFA પાઠ્યક્રમમાં જબરદસ્ત વાંચનના કાર્યક્રમો છે, જે આમપ્રજા માટે મફત અને જાહેર છે.અહીં સીટી લિટ(સંસ્થા)છે.એનક પ્રાટ પુસ્તકાલય છે પોતાના વાંચનના કાર્યક્રમોવાળું.ન્યુયોર્કતો હાથ છેટું છે.

અબ્દુ અલિ ઇટન કળાના હિમાયતિ અને બાલ્ટીમોરના સ્થાનિક સર્જક છે.એમનું સર્જન EatOnThis.Com પર વાંચવા/જોવા મળશે.

Read the rest of this entry »


કવિતા શા માટે વાંચવી ?

August 27, 2009

કવિતા માનવ સંસ્કૃતિ માટે આવશ્યકતા છે. આપણે એના વગર હયાત નથી.
આપણે માટે કવિતા જરૂરી છે અને હકિકતમાં વારંવાર આપણે એનાથી ગભરાઇએ છીએ
વા એવું વિચારીએ છીએ કે આપણા સમય માટે મૂલ્યવાન નથી,એવું કશુંક છે જે
નિર્ધન બનાવી દેશે. પણ કવિતાને કોઇ વાંધા વચકા નથીઃ એ તો કાગળ પર કેવળ
શબ્દો છે. જે કવિએ એ શબ્દો લખ્યા છે, જો કદાચ એ શબ્દો જીવંત હોત તો,
કવિને કદાચ વાંધો હોત કે લોકો એના શબ્દો વાંચે નહી…. પણ કવિતા સ્વયંને
કશી પડી નથી. એ તો ત્યાં હયાત છે, આપણા વાંચવા માટે વા અવગણવા.

જે ક્ષણ પર્યંત આપણે કવિતા વાંચતા નથી, આપણે આપણું કશુંક મહ્ત્વનું
નકારીએ છીએ. કવિતા આપણને આપણી સાથે જોડી આપવામાં સહાયરૂપ છે.
સ્વયંને સાંભળવામાં, આપણા દૈનિક અસ્તિત્વના વળાંકોમાં ધ્યાન આપવામાં,
જે અઘરું લાગે છે તથા લાગણી અને સુઝ તાગવાની આપણી ક્ષમતા ચકાસી જોવામાં…..
ખેર,એ કામ માટે સામાન્ય પણે સમાય જ નથી.એટલાં બધાં કામ કરવાના છે,
અને અનેક સ્થળોએ જવાનું છે, ઉપરાંત આપણા સમય સામે ઢગલો માંગ છે.
જવલ્યેજ આપણને તક મળે છે આપણું અંતર્ગત તપાસવાની અને જીવનમાં
આપણું ચોફેર જે દરેક જાગૃત ક્ષણોને ઘેરી વળ્યું છે.

છતાં વિકાસ, જે માનવ જિંદગી માટે ખૂબ આવશ્યક છેઃ કઇ રીતે વિકાસ શક્ય છે
જો આપણને નવી તક ( શક્યતાઓ) ન દેખાય, જો આપણને ખબર પણ નથી કે
એ ક્યાં છે? કેવી રીતે આપણે અજમાવી શકીએ– નવી તરાહો જોવાની, વિચારવાની,
અને અનુભવવાની ? વિકાસ ઉછેરવો ; એ પણ સર્જનનો કાવ્ય પ્રદેશ છે.

જાણીતા કવિ જ્હાન ડનએ કહ્યું છે કે ‘no man is island’( કોઇ માણસ ટાપુ નથી.).
એના કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે બધાં એકમેક સાથે સંકળાયેલા જીવીએ છીએ.
છતાં એ જ સમયે આપણે દરેક જણ ખરેખર તો ટાપુ જ છીએઃ દરેક જણ પાસે બીજા
અન્ય કોઇ કરતા ભિન્ન ચૈતન્ય છે,( આપણે કદાચ એને આપણી કહેવતોમાં
મુંડે મુંડે મતુર્ભિન્ના કહીએ છીઍ ). ક્યારે આપણે ખરેખર જાણીએ છીઍ કે બીજું કોઇ
શું વિચારે કે અનુભવે છે ? અને બીજી રીતે કહેવું હોય તો આપણે નથી સંતાડી
રાખતા ઊંડેઊંડે આપણૉ શો મત છે, અને અંતરમાં શું અનુભવીએ છીએ, બીજાઓની
ઝીણવટભરી તપાસથી દૂર ? એ પણ કવિતાનો કાર્ય પ્રદેશ છે, કરણકે દરેક માનવ પ્રવ્રૂત્તિ ખૂબ
ગૂઢ પણે બીજા પાંસે અભિવ્યક્ત કરે છે કે આપણી આસપાસના મનુષ્યોના મનમાં અને અનુભૂતિમાં શું છે.

દરેક કવિ પાસે હમેશા કશુંક કહેવાનું તો હોય જ છે. કોઇક સર્જક એટલું મહ્ત્વપૂર્ણ બોલે છે કે
એ તમારી જીવન પધ્ધતિ અથવા તો તમે શું છો અને તમે કેટલા સમર્થ છો એ બધાંમાં પરિવર્તન લાવી દે.
વિશ્વમાં એના ઉદાહરણો બેકેટ, સાર્ત્રે કે આપણે ત્યાં ગોવર્ધનરામ– જેમણે દરેક યુવકને સરસ્વતીચંદ્ર
બનાવી દીધો હતો.–, ઇત્યાદિ મળે છે. છતાં કવિતા ભૂલચૂક ન કરે એવું નથીઃ ક્યારેક તે અવિચારી,
અતિસામન્ય, વાસી અથવા કેવળ આડંબરી પણ હોય છે.

આપણે કાવ્ય પ્રત્યેના પૂજ્યભાવથી ઝૂકી નથી પડવાનું, જો આપણને કવિ શું કહે છે અથવા
કેવી રીતે કહે છે તે માન્ય ન હોય તો એ સ્પષ્ટીકરણ સંતાડવાની કોઇ જરૂર નથી. જો કવિતા તમારી
સાથે કોઇ સંવાદ ન રચે અને આપણે ખરેખર ગંભીર પ્રયત્ન કર્યો હોય સાંભળવા….આપણે
કવિતા ન વાંચી, એને બદલે ઇતર કામમાં પ્રવૄત્ત થઈએ તો એ જરાકેય અન્યાય નહી કહેવાય એ કવિતા પ્રત્યે !

કવિતા કર્ણ કળા છે, અથવા કાવ્ય વાચિક-ધ્વનીનું ( phonetic ) માધ્યમ છે. કવિતા કાગળપર
કેવી દેખાય છે તે જ કેવળ મહ્ત્વનું નથી પણ એ વાંચીએ ત્યારે કેવી સંભળાય છે અથવા તમે જ્યારે
કાવ્યને વાગોળો ત્યારે કેવું સંભળાયછે,એ કાવ્ય વાંચનમાં મહત્વનું કર્મ છે.

નોંધઃ હ્યુક ઓટમેનના લેખનો અનુવાદ ઉમેરણ સાથે.
૮-૨૬-૨૦૦૯

ઘણા


Follow

Get every new post delivered to your Inbox.

Join 27 other followers